પરિણીત નૌસૈનિકો માટે નૌકાદળ મુંબઈમાં ટ્વિન ટાવર બાંધશે

મુંબઈઃ ભારતીય નૌકાદળ દક્ષિણ મુંબઈમાં આવેલા કોલાબા વિસ્તારસ્થિત નેવી નગર ખાતે તેના પરિણીત નૌસૈનિકો માટે બે બહુમાળી ટાવર બંધાવશે. પ્રત્યેક ટાવર 32 માળના હશે.

પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ આર. હરિકુમારે ‘હરિત ભવન યોજના’નું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. આ ટ્વિન ટાવર બંધાઈ જશે તે પછી પરિણીત નૌસૈનિકો માટે આવાસની તંગીની સમસ્યા ઘણે અંશે ઉકેલાઈ જશે. સાથોસાથ, નૌસૈનિકો અને એમના પરિવારજનોને વધારે સારું જીવનધોરણ પણ પ્રદાન થશે. આ યોજના અંતર્ગત 464 પરિણીત નૌસૈનિકોને સંબંધિત સુવિધાસંપન્ન ક્વાર્ટર્સ પૂરા પાડવામાં આવશે.