મેયર કિશોરી પેડણેકરને અપાઈ જાનથી મારી નાખવાની-ધમકી

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય આશિષ શેલાર અને મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર વચ્ચે એક વિવાદ સર્જાયા બાદ પેડણેકરને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં પેડણેકરનું ગંદી ભાષામાં અપમાન પણ કરવામાં આવ્યું છે. આ સંબંધમાં ભાયખલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે, 57 વર્ષીય પેડણેકર વિશે કથિતપણે વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ આશિષ શેલાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને એમની ધરપકડ પણ કરવામાં આવી હતી. શેલારે એક પત્રકાર પરિષદમાં કરેલા વિધાનો બદલ એમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ગેસ સિલિન્ડર ધડાકાના સ્થળે 72 કલાક બાદ મુલાકાત લેવા બદલ શેલારે પત્રકાર પરિષદમાં પેડણેકરની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ‘મેયર તમે આટલા બધા કલાકો સુધી ક્યાં સૂતાં રહ્યાં હતાં?’ પેડણેકરે ‘સૂતાં રહ્યાં’ શબ્દો સામે વાંધો ઉઠાવીને ગૃહ પ્રધાનને લેખિતમાં ફરિયાદ કરી હતી અને શેલાર સામે પગલું ભરવાની માગણી કરી હતી. 2019-20માં મુંબઈનાં 77મા મેયર બનેલાં કિશોરી પેડણેકર દક્ષિણ મુંબઈનાં લોઅર પરેલમાંથી સતત ત્રણ મુદતથી શિવસેનાનાં નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં છે.