મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરમાં એક ટીવી સિરિયલના શૂટિંગ માટેના સેટ પર વીજળીનો કરંટ લાગતાં યૂનિટના એક કર્મચારીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકનું નામ છે મહેન્દ્ર યાદવ. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ કહ્યું છે કે યાદવને સિરિયલના શૂટિંગ વખતે વીજળીનો આંચકો લાગ્યા બાદ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાંના ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.
ગુપ્તાએ માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકાર મૃતક યાદવના પરિવારજનોને વળતર પેટે રૂ. 50 લાખ ચૂકવે. તદુપરાંત આ સિરિયલના નિર્માતા અને નિર્માણ કંપની સામે પોલીસ કેસ પણ નોંધવામાં આવે.
