મહારાષ્ટ્રમાં એસટી મહામંડળનું રાજ્યસરકારમાં વિલિનીકરણ નહીં થાય

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એસ.ટી. બસ સેવાનું સંચાલન કરતી કંપની મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)નું રાજ્ય સરકારમાં વિલિનીકરણ કરવાની માગણીને ત્રણ-સભ્યોની સમિતિએ નકારી કાઢી છે. MSRTCનું રાજ્ય સરકારમાં વિલિનીકરણ કરવાની માગણી પર રાજ્યના એસ.ટી. બસ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી હડતાળ પર ઉતર્યા છે. આમ, એમને મોટો ધક્કો પહોંચ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ દેબાશિષ ચક્રવર્તીની આગેવાની હેઠળની ત્રણ-સભ્યોની સમિતિએ આર્થિક રીતે ખોટ કરતી MSRTCને રાજ્ય સરકારમાં ભેળવી દેવાની વિરુદ્ધમાં એમનો મત આપ્યો છે.

સમિતિએ કહ્યું કે વહીવટીય અને પ્રોફેશનલ મુદ્દાઓને વિચારમાં લેતાં એસ.ટી. કર્મચારીઓની માગણીનો સ્વીકાર કરવો શક્ય નથી. માગણી એવી હતી કે MSRTCનો સ્વતંત્ર દરજ્જો ચાલુ રાખવો પરંતુ, એના 90,000 કર્મચારીઓને રાજ્ય સરકારમાં ભેળવી દેવા જેથી એમને અન્ય રાજ્ય સરકારી કર્મચારીઓને મળતા લાભો મળી શકે.