ઇરાનના પોર્ટ પર ભીષણ ધડાકો: 400થી વધુ લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઇરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પોર્ટ પર મોટા વિસ્ફોટ પછી આગ લાગી હતી.  અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મિડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 400થી વધુ પર પહોંચી ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું હતું કે રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવવામાં આવી છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે.

સોશિયલ મિડિયા પર વિસ્ફોટના અનેક વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. આ વિડિયોમાં આકાશમાં ભયાનક કાળા ધુમાડા જોવા મળી રહ્યા છે. રાજઈ પોર્ટ પર મુખ્યરૂપે કન્ટેનરનો ટ્રાફિક સંભાળવાની કામગીરી થાય છે. અહીં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો હોવાથી વિસ્ફોટ બાદ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બનવાનો ખતરો ઊભો થયો છે. આ વિસ્ફોટને કારણે પોર્ટ પર સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ છે.