કચ્છને મળશે હવે કાયમી પ્રાથમિક શિક્ષકો: ભરતી ચાલુ

કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લાના શિક્ષકો પોતાની નિમણૂક મેળવી લીધા બાદ રાજ્ય શિક્ષણ તંત્રના નિયમોની વચ્ચે પોતાના અથવા નજીકના જિલ્લામાં બદલીને જતા રહે છે. કચ્છમાં અંતરિયાળ ગામોની શાળાઓમાં શિક્ષકોની ઘટ કાયમી રહે છે અને તેના કારણે પ્રાથમિક શિક્ષણ ઉપર સૌથી વધુ અસર થાય છે. જોકે, થોડા સમય પહેલાં રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના જ લાયકાત ધરાવતા લોકોને કચ્છમાં જ શિક્ષક તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કરતાં આગામી સમયમાં શિક્ષકોની ઘટ ઓછી થવાની સંભાવના છે.

શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ

કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, આ શિક્ષકો કચ્છમાં જ રહી પોતાની ફરજ બજાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છની બે દિવસની મુલાકાત દરમિયાન શનિવારે ભુજ તાલુકાના કુરનની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં શિક્ષક ભરતી અંગેની વાત ઉચ્ચારી હતી. ઉપરાંત, સૌને ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, અને બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રેરણા પૂરી પાડી હતી.