ગુજરાતના પોરબંદર જિલ્લામાં, સૌરાષ્ટ્રના દરિયાકિનારે સ્થિત માધવપુર એના ઐતિહાસિક મહત્વ અને વિસ્મયજનક કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. પોરબંદરથી 46 કિલોમીટર દૂર આવેલા આ ગામનો દરિયાકિનારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી નાખે છે. જોકે, જે વાત માધવપુરને અનોખું બનાવે છે, એ છે અહીં યોજાતા માધવપુર ઘેડના મેળા.
માધવપુર ઘેડના મેળાનો ઇતિહાસ
માધવપુર મેળાનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એ સમયના રાજા ભીષ્માકની રાજ કુવારી રુક્ષ્મણીજીના લગ્ન તેમના ભાઈ રુકમૈયાની ઇચ્છાથી શિશુપાલ સાથે નક્કી થાય છે. રુક્ષ્મણીજીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને લગ્ન માટે પત્ર લખે છે. આ પત્ર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને પહોંચાડવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પૂર્વમાં જઇ રુકમૈયાને હરાવી રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા પરત ફરતી વખતે, એ સમયના માધવ તીર્થ એટલે કે હાલના માધવપુરમાં લગ્ન વિધિ સંપન્ન કરે છે. .ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં ભગવાનને જગ્યા કરી આપી, એ સ્થળ એટલે મધુવન એ ખૂબ જ રમણીય અને શાંતિ આપનારું છે.
લગ્ન વિધિ માટેના ચોરી માયરાના સ્થાપત્યના અંશો માધવપુરે સાચવી રાખ્યા છે. ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે ગણેશ સ્થાપનાથી આ મેળાની શરૂઆત થાય છે. ત્યાર બાદ રાત્રે ૦૯.૦૦ કલાકે ભગવાન માધવરાયજી અને ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભ થાય છે. ચૈત્ર સુદ દસમ તથા એકાદશીના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે.
‘માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન’
ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. જેમાં મહેર સમુદાયના લોકો ધજાઓ સાથે શણગારેલા હાથી, ઉંટ અને ઘોડા પર સવાર થઈને રુક્ષ્મણીનું મામેરું લઇ આવે છે. જ્યારે બપોરે ૧૨.૦૦ કલાકે મધુવનમાં આવેલ મહાપ્રભુજીના પવિત્ર સાંનિધ્યમાં રુક્ષ્મણીના પિયર પક્ષની જગ્યામાં ‘રુક્ષ્મણી મઠ’થી ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. ચાર ફેરા જેવા પ્રસંગો જોવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મેળા માટે ‘માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન’ લગ્નગીત પણ જાણીતું છે.
મેળાનું રાષ્ટ્રીય મહત્વ
2018થી, માધવપુર ઘેડના મેળાને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઓળખ આપવામાં આવી છે. ઉત્તર પૂર્વ અને ગુજરાતના સાંસ્કૃતિક સમૂહો અહીં ભવ્ય પ્રસ્તુતિઓ આપે છે. 2025ના મેળામાં પહેલીવાર 1600 કલાકારો, જેમાં ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 કલાકારો ભવ્ય પ્રદર્શનો કરશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, મેઘાલય અને ત્રિપુરાના લોકો પણ ઉમંગભેર જોડાશે.
માધવપુરના આ અસલી સોરઠી મેળામાં નવપરણિત યુગલો સહિત યુવાનો પવિત્ર પ્રેમના સમન્વયની આ પળના અચૂક સાક્ષી બને છે. અહીં મેળામાં ભાતીગળ વસ્ત્ર-અલંકારો પહેરીને ગીતો ગાતી અને રાસડે રમતી વિવિધ સમાજની સ્ત્રીઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન કરાવે છે. લોકો પાંચ દિવસ સુધી ભક્તિ, આનંદ, ઉલ્લાસ અને આધ્યાત્મરસમાં લીન થઈને આ મેળામાં સહભાગી બને છે.
મેળાનાં આકર્ષણો
મેળાના પ્રારંભથી ચાર દિવસ સુધી સ્ટેડિયમ આકારના ભવ્ય મેદાનમાં ઉત્તર પૂર્વના કલાકારો અને ગુજરાતના કલાકારો એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરે છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિવિધતામાં એકતા સાથે ભવ્ય ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.
માધવપુર ખાતે સદીઓ પુરાણું વિષ્ણુ મંદિર પણ આવેલું છે, જે જૂના માધવરાયજીના મંદિરથી ઓળખાય છે. 12મી સદીમાં બનેલું આ મંદિર ભારતની ભવ્ય સનાતન સંસ્કૃતિના વારસાનું પ્રતીક પણ છે. આ મંદિર ખૂબ જર્જરિત થતાં 300 વર્ષ પહેલા પોરબંદરના મહારાણીએ બીજું નવું મંદિર બંધાવી આપેલું. ત્યાં જૂના મંદિરમાંથી માધવરાયજીની મૂર્તિઓ અહીં પધરાવવામાં આવી છે. આ મૂર્તિઓ પણ ભારતની અજોડ અને ખૂબ જ આગવી વિશેષતાઓ ધરાવતી મૂર્તિઓમાંની એક છે. ભગવાન માધવરાયજીના દર્શન કરવા એક લહાવો છે. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુ ભગવાન માધવરાયજીના અચૂક દર્શન કરે છે. ભગવાન માધવરાયજીની જાન માધવરાયજીના મંદિરેથી મધુવનમાં રુક્ષ્મણી માતાના મંદિર પરિસર ચોરી માર્યા ખાતે જાય છે. અહીં લગ્ન વિધિ થાય છે, જે પ્રસંગ પણ હજારો ભાવિકો માણે છે.
માધવપુર ભારતના ઇતિહાસમાં ભક્તિ આંદોલન વખતે પણ શ્રદ્ધાનું કેન્દ્ર હતું. અહીં મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પણ યાત્રા કરેલી અને તેમની બેઠક પણ આવેલી છે. રામાનુજાચાર્ય પરંપરા, ગુરુ ગોરખનાથનો ધુણો બ્રહ્મકુંડ, ગદા વાવ, મધુવંતી નદી સંગમ, નીલકંઠ મહાદેવ, ગુફાઓ, રુક્ષ્મણી મંદિર અને પૌરાણિક વિવિધ વાવ-કુંડો આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત માધવપુર બીચ પર રેત શિલ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રેત શિલ્પના કલાકારો રેતીનાં ચિત્રો શિલ્પનું સર્જન કરી માધવપુરના મેળાની ઇતિહાસ સાથે જોડાયેલી કૃતિઓની પ્રસ્તુતિ કરે છે.
