IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા બીમારીના કારણે રમી રહ્યો નથી. સૂર્યકુમાર યાદવ આ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. મુંબઈ માટે રાહતના સમાચાર એ છે કે સ્ટાર ઓપનર રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજામાંથી મુક્ત થઈને 5 મેચ બાદ મેદાનમાં પરત ફર્યો છે. બીજી તરફ લખનૌની ટીમમાં જોશ ઈંગ્લિસ અને અક્ષત રઘુવંશી ડેબ્યૂ કરી રહ્યા છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.
વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં જ્યારે સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાન પર આવ્યો ત્યારે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાર્દિક પંડ્યાની ગેરહાજરી અંગે ખુલાસો કરતા સૂર્યાએ જણાવ્યું કે હાર્દિકની તબિયત નાદુરસ્ત હોવાથી તે આ મહત્વની મેચનો હિસ્સો બની શક્યો નથી. આ સિઝનમાં હાર્દિક બીજી વખત ફિટનેસ અથવા બીમારીના કારણે મેચ ગુમાવી રહ્યો છે. આ અગાઉ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ તે રમી શક્યો નહોતો અને ત્યારે પણ સૂર્યકુમાર યાદવે જ કમાન સંભાળી હતી. મુંબઈ હાલમાં પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે કેપ્ટનની ગેરહાજરી ટીમ માટે પડકારરૂપ બની શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર રોહિત શર્માની વાપસી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન રોહિતને જમણી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. આ ઈજા એટલી ગંભીર હતી કે તેણે સતત 5 મેચોમાં ડગઆઉટમાં બેસવું પડ્યું હતું. હવે તે સંપૂર્ણ ફિટ છે, જોકે રણનીતિ મુજબ તે ઈમ્પેક્ટ સબસ્ટીટ્યુટ તરીકે બેટિંગ કરવા માટે ઉતરશે. રોહિતની વાપસીથી મુંબઈના બેટિંગ ઓર્ડરને મજબૂતી મળશે અને અનુભવનો લાભ પણ મળશે.
લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, રિષભ પંતની આગેવાની હેઠળની આ ટીમે પણ પ્લેઈંગ-11 માં મોટા ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસ આજે LSG માટે તેની પ્રથમ મેચ રમી રહ્યો છે, જ્યારે યુવા ખેલાડી અક્ષત રઘુવંશી પોતાનું IPL ડેબ્યૂ કરી રહ્યો છે. લખનૌ પણ તેની છેલ્લી કેટલીક મેચો હારી ગયું છે, તેથી આ મુકાબલો બંને ટીમો માટે પોઈન્ટ ટેબલમાં આગળ વધવા માટે નિર્ણાયક સાબિત થશે. આયુષ બદોની અને મુકુલ ચૌધરી જેવા ખેલાડીઓને આ મેચમાં સ્થાન મળ્યું નથી.
ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો મુંબઈની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ પણ આ મેચ રમી રહ્યો નથી, જેની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિન બોશને સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈની ટીમમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહ જેવા મજબૂત ખેલાડીઓ પર મોટી જવાબદારી રહેશે. લખનૌ તરફથી મોહમ્મદ શમી અને નિકોલસ પૂરન જેવા મેચ વિનર ખેલાડીઓ પર નજર રહેશે. વાનખેડેની પીચ બેટિંગ માટે અનુકૂળ મનાય છે, ત્યારે હાઈ-સ્કોરિંગ મેચ થવાની પૂરેપૂરી શક્યતા છે.

