ઋષિ સુનક બ્રિટનના PM પદની રેસમાં સૌથી આગળ

લંડનઃ ભારત પર 200 વર્ષ રાજ કરનાર બ્રિટનના વડા પ્રધાનપદે હવે એક ભારતીયનો કબજો હશે. બ્રિટનના હાલના વડા પ્રધાનપદે બોરિસ જોન્સનને પદ છોડવું પડે એવી સ્થિતિ બ્રિટનમાં નિર્માણ થઈ છે, કેમ કે બોરિસ જોન્સને લોકડાઉનના સમયગાળામાં દારૂની મહેફિલ જમાવી હતી, જેથી તેમના પર રાજીનામાનું ભારે દબાણ થઈ રહ્યું છે. જેથી બ્રિટનના વડા પ્રધાનપદે સૌપ્રથમ વાર હિન્દુ વ્યક્તિ આરૂઢ થાય એવી શક્યતા છે.

ભારત અને પૂર્વ આફ્રિકામાં બ્રિટનના જૂના સામ્રાજ્યના ઇમિગ્રેન્ટ્સના વંશજ વિશ્વના પાંચમા શક્તિશાળી અર્થતંત્રની ધુરા સંભાળશે- એ એક ઐતિહાસિક ક્ષણ હશે. દેશમાં તેઓ ભારતીય IT દિગ્ગજ કંપની ઇન્ફોસિસના સહસંસ્થાપક અને અબજોપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાના પતિ તરીકે વધુ જાણીતા છે.ઋષિ સુનક 13 ફેબ્રુઆરી, 2022એ બ્રિટનના પહેલા હિન્દુ ચાન્ચેલર બન્યા હતા, કે જેમણે ભગવદ્ ગીતા પર એકસંસદસભ્ય તરીકે ફરજ નિભાવવાના શપથ લીધા હતા. તેમને જોન્સને ચાન્સેલર બનાવ્યા, ત્યારે બ્રિટિશ જનતામાં તેઓ ઓછા જાણીતા હતા.

જોકે કોરોના રોગચાળા દરમ્યાન જોન્સને પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરી, ત્યારે યુવા ચાન્સેલરે લાખો નોકરીઓ બચાવવા માટે તેમણે મસમોટું નાણાકીય પેકેજ જાહેર કરવું પડ્યું હતું. જોકે હાલ બ્રિટનમાં બેરોજગારીનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે બ્રિટિશરો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.   

જોન્સનને વિપક્ષ અને કન્ઝર્વેટિવ સાંસદો તરફથી પદ છોડવા માટે દબાણ થઈ રહ્યું છે. કેટલાક ટોરી સાંસદોનું માનવું છે કે જોન્સનના પદ છોડ્યા પછી વડા પ્રધાનપદની રેસમાં માટે ઋષિ સુનક સૌથી આગળ છે. જોકે સુનકે આ બધા બાબતોને ફગાવી હતી.