પ્રદર્શનકારીઓએ સોલોમન દ્વીપ પર સંસદને આગ ચાંપી

હોનિઆરાઃ પ્રશાંત મહાસાગરમાં સ્થિત સોલોમન દ્વીપ પર વડા પ્રધાનને દૂર કરવાની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સંસદના બિલ્ડિંગ અને એક પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી0 હતી. ભારે હિંસા અને લૂંટફાટને જોતાં પોલીસે ટિયર ગેસ છોડવો પડ્યો હતો અને રબરની ગોળીઓ મારવી પડી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજધાની હોનિઆરામાં 36 કલાક માટે લોકડાઉન લગાવી દીધું હતું.

પ્રદર્શનકારીઓએ કેટલીય દુકાનોને લૂંટી લીધી હતી, જેનાથી દેશમાં ભારે તણાવ છે. વડા પ્રધાન મનાસ્સેહ સોગાવરે બુધવારે મોડી રાત્રે દેશને સંબોધનમાં રાજધાનીમાં લોકડાઉન લગાવવાનું એલાન કર્યું હતું. આ દ્વીપ સમૂહના સૌથી વધુ વસતિવાળા દ્વીપ મલૈટાના લોકો રાજધાની પહોંચી ગયા અને તેમણે કેટલાય ઘરેલુ મુદ્દાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જેમાંથી આધારભૂત માળખાને સુધારવાનાં કેટલાંય વચન પૂરાં નહોતાં કર્યાં.

મલૈટાના લોકોએ વિકાસની દોડમાં પાછળ રહે જવા બદલ નારાજગી દર્શાવી હતી. વર્ષ 2019માં તાઇવાનની સાથે સંબંધ તોડીને ચીનની સાથે ઔપચારિક સંબંધ બનાવવા પર સોલોમન દ્વીપ ઘણાં દબાણોનો સામનો કરી રહ્યું છે. વડા પ્રધાન સોગાવરે કહ્યું હતું કે આપણો દેશ એક દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો સાક્ષી બન્યો છે, જે હેઠળ એક લોકતાંત્રિક રીતે પસંદ થયેલી સરકારને પાડવાનો પ્રયાસ થયો છે.

તેમણે કહ્યું હતું કે આ લોકડાઉન શુક્રવારે સવારે સાત કલાક સુધી ચાલશે. આ દરમ્યાન હિંસા કરવાવાળાની તપાસ કરવામાં આવશે. ચીનની વ્યક્તિની દુકાનને પણ લૂંટી લેવામાં આવી છે.