પાકિસ્તાને મલેરિયા વિરોધી દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

ઇસ્લામાબાદઃ કોરોના વાઇરસના રોગચાળાથી પીડિત પાકિસ્તાને મલેરિયાવિરોધી દવાઓ પર ફરી પ્રતિબંધ લગાવી દીધો છે. ચાર દિવસ પહેલાં ઇમરાન સરકારે આ દવા પર પ્રતિબંધ દૂર કર્યો હતો. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તત્કાળ અસરથી લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ કોરોના વાઇરસ પર રાષ્ટ્રીય સમન્વય આયોગ (NCC)ના આગામી નિર્ણય સુધી લાગુ રહેશે.

આ પહેલાં વેપાર વિભાગે માસ્કની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાન (ડ્રેપ)ને પત્ર પણ લખ્યો હતો. એક સત્તાવાર સૂત્રના જણાવ્યાનુસાર એનસીસીની બેઠકને ધ્યાનમાં રાખતા વેપાર વિભાગે બધી મેલેરિયાવિરોધી દવાઓની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

ડ્રેપના રેકોર્ડ અનુસાર દવાઓનું ઉત્પાદન કરવા માટે આશરે 2.5 કરોડ ટેબ્લેટ અનમે આશરે 9,000 કિલોગ્રામ કાચો માલ બજારમાં ઉપલબ્ધ છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 72 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે આ વાઇરસથી 4,780 લોકો સંક્રમિત થયા છે.

એક તરફ પાકિસ્તાને મલેરિયાવિરોધી દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી બાજુ ભારતે દરિયાદિલી દાખવતાં મલેરિયા સામેની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. આ દવા કોવિડ-19થી લડવામાં કારગત સાબિત થઈ રહી છે. ભારત આ દવાનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે.