ત્રેવડી ચેતવણી: કોરોના ભૂખમરો, કારમી આર્થિક મંદીને નોતરશે

નવી દિલ્હી: વિશ્વભરના દેશો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. બધાને એક વાતને લઈને ચિંતા છે કે, કોરોના મહાબીમારીનો અંત ક્યારે આવશે અને એ પછી સમગ્ર વિશ્વમાં શું સ્થિતિ હશે? દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાની ચિંતા વચ્ચે આખી દુનિયાના વ્યવહારો પર નજર રાખતી ટોચની ત્રણ સંસ્થાઓએ જે ચેતવણી આપી છે એ ચોંકાવનારી છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN), IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) અને WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ કોરોનાને સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો ગણાવતા કહ્યું છે કે, વિશ્વના ગરીબ દેશો મહાભૂખમરાની આરે આવી ગયા છે. આ ઉપરાંત કોરોના મોટી આર્થિક મંદીને પણ નોતરશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા લાંબા સમયથી કહે છે કે, કોરોનાથી વિશ્વને સૌથી મોટો ખતરો છે. હવે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગામે પણ કહી દીધું છે કે, દુનિયાના ગરીબ દેશો મહાભૂખમરાની આરે છે. આ સિવાય દુનિયાભરમાં લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. અમેરિકામાં ત્રણ કરોડ 30 લાખ નોકરીઓ ગઈ છે. આઈએમએફ સંસ્થાએ પણ કહ્યું કે, 1930માં આવેલા સૌથી મોટા આર્થિક સંકટથી પણ મોટો ખતરો આ વખતે છે.

દુનિયા પર કોરોનાની મહામારીને ‘ટ્રિપલ એટેક’ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, તેનાથી ભૂખમરો વધશે અને WHO અનુસાર આ સૌથી મોટી મહામારી છે જેનાથી હજી વધારે મોત થઈ શકે છે. જ્યારે IMF નું અનુમાન છે કે, કોવિડ-19ના કારણે વિશ્વભરના દેશોના અર્થતંત્ર પર મોટો ફટકો પડશે.

દુનિયાના ગરીબ દેશોમાં કોરોના હજુ ત્રણથી છ મહિના પછી ચરમસીમા પર પહોંચશે અને ત્યાર પછી મહાભૂખમરાનો સમયગાળો શરૂ થશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યકારી નિદેશક ડેવિડ બિસ્લેના જણાવ્યા અનુસાર, હવે આપણા પર મહામારીનો ડબલ માર પડવાનો છે. આપણે મહાભૂખમરાના દ્વારે ઉભા છીએ.

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયામાં 13 કરોડ 50 લાખ લોકો ભૂખમરાની કગાર પર છે. જેમાંથી લાખો લોકો એવા છે, જેઓ પેટભરીને ખાઈ પણ નથી શકતા. પરંતુ હવે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં સપ્લાઈ ચેન ઠપ થઈ ગઈ છે. જેની અસર ગરીબ દેશો પર પડશે. દુનિયાના 37 દેશ એવા છે જે, ભૂખમરાની આરે છે. જે નવ દેશોને યૂએનમાં સામેલ કર્યાં છે, તેમાં પાકિસ્તાન પણ સામેલ છે. યૂએને આના માટે દુનિયાને 5000 કરોડ રૂપિયા એક્ઠા કરવાની અપીલ કરી છે.

IMF એ આશંકા વ્યક્ત કરી છે કે, 1930ની મંદી કરતા પણ મોટો આર્થિક ખતરો છે. આઈએમએફના એમડી ક્રિસ્ટાલીના જોર્જિવાએ કહ્યું કે, આ સમય ગ્રેટ ડિપ્રેશનની ભયાનક મંદી કરતા મોટો છે, કારણ કે આમા સ્વાસ્થ્ય સંકટ અને આર્થિક સંકટ જોડાઈ ગયું છે.

અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનના ડરથી હવે કેટલીક સરકારો લોકડાઉનની શરતોમાં છૂટછાટ આપી રહી છે પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા ચેતવણી આપે છે કે, એવું કરવામાં આવશે તો કોરોના ફરી તાકાત મેળવી શકે છે અને લોકડાઉન ફરી લાગુ કરવું પડી શકે છે.