NCERT પુસ્તકોમાં હવે INDIAને બદલે ભારત લખાશે, પેનલની દરખાસ્ત મંજૂર

હવે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના પુસ્તકોમાં INDIA ને બદલે ભારત લખવામાં આવશે. NCERT એ પુસ્તકોમાં જરૂરી ફેરફારો અંગે પેનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પેનલના સભ્યોમાંથી એકે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. NCERT પેનલની ભલામણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય વર્તુળોમાં INDIA નું નામ બદલીને ભારત કરવાની અફવાઓ સાંભળવા મળી રહી છે. INDIA નું નામ બદલીને ભારત કરવાની અફવા ગયા મહિને સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે G20 ઈવેન્ટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના નામે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ને બદલે ‘ પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું.

INDIA અને ભારત વિશે બંધારણ શું કહે છે?

INDIA નું નામ ભારત રાખવું જોઈએ કે નહીં અથવા શા માટે એવું હોવું જોઈએ તેની ચર્ચા વચ્ચે ભારતનું બંધારણ શું કહે છે? બંધારણના અનુચ્છેદ 1(1)માં આપણા દેશનું નામ ‘INDIA એટલે કે ભારત જે રાજ્યોનું સંઘ હશે’ એવું જણાવવામાં આવ્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો જ્યારે G20 મીટિંગ દરમિયાન PM મોદીએ રાઉન્ડ ટેબલમાં તેમના નામની આગળ ભારત લખેલું હતું.

જોકે, આ અંગે પૂછવામાં આવતા ભારત સરકાર તરફથી કોઈએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. આ પહેલા રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે INDIA નામ પશ્ચિમના શાસકોએ આપ્યું છે. તમામ ભારતીયોએ ભારત નામનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે પ્રાચીન સમયથી આ દેશનું નામ ભારત છે.