ચેમ્પિયન્સ ટ્રોફી : ફરી થશે ભારત – પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ

આગામી ICC ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હશે જે 2025 માં પાકિસ્તાન દ્વારા યોજાવાની છે. જો કે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. પરંતુ પાકિસ્તાન આ ટૂર્નામેન્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એક મેચ પણ રમાવાની છે. આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ પર મોટું અપડેટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારત-પાકિસ્તાનની મેચની તારીખ 1 માર્ચ 2025 નક્કી કરી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ આ અપડેટ આપ્યું છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની આ મેચ લાહોરમાં રમાશે. પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી અસ્થાયી કાર્યક્રમ પર પોતાની સંમતિ આપી નથી.

ટુર્નામેન્ટ 8 ટીમો વચ્ચે રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે અને 10 માર્ચને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં

આઈસીસી બોર્ડના એક સભ્યએ પીટીઆઈને જણાવ્યું કે પીસીબીએ 15 મેચની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કરી દીધો છે. લાહોરમાં સાત, કરાચીમાં ત્રણ અને રાવલપિંડીમાં પાંચ મેચ રમાશે. પરંતુ સુરક્ષા અને લોજિસ્ટિકલ કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે. જ્યારે, ઓપનિંગ મેચ કરાચીમાં, બે સેમી ફાઈનલ કરાચી અને રાવલપિંડીમાં, ફાઈનલ લાહોરમાં યોજાશે.

અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે

પાકિસ્તાન દ્વારા આયોજિત છેલ્લી ટુર્નામેન્ટ 2023માં એશિયા કપ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના કારણે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની મેચો શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં રમાઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે. તમને જણાવી દઈએ કે, ICC કોઈપણ બોર્ડને તેની સરકારની નીતિ વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકે નહીં.