અમદાવાદઃ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ફરી એક વાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાશે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ છે. એટલું નહીં, આગામી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું તેમણે જણાવ્યું છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યાનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
રાજ્યમાં ગઢડામાં ૧પ, શિહોર-પાલિતાણામાં ૧ર, બોટાદ-જેશર-ઉમરાળામાં ૧૧, સાવરકુંડલામાં ૧૦, મહુવામાં ૯, રાજુલામાં ૮, અમરેલી-લીલિયા-૭, ચોટીલા-તળાજા-ગારિયાધાર-વીંછિયામાં છ ઇંચ : મોરબી-રાજકોટ-જૂનાગઢ જિલ્લામાં સહિત કચ્છમાં એકથી ૪ ઇંચ વરસાદ પડયો છે.
ગઢડામાં 14 ઇંચ વરસાદ
બોટાદ જિલ્લાના ગઢડામાં તો જાણે આભ તૂટી પડ્યુ છે. ગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ છે. બોટાદ જિલ્લાના ગઢડા વિસ્તારમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત પડતા વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામોનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે સ્થાનિક પરિવહન અને રોજિંદી જિંદગી પર ગંભીર અસર થઈ રહી છે.
મુખ્ય કોઝવે તૂટી જતાં ગામનો સંપર્ક તૂટી ગયો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ પછી સ્થિતિ ઘણી બધી વણસી ગઈ છે. ગઢડાના ઈશ્વરિયા ગામને અન્ય વિસ્તારો સાથે જોડતો મુખ્ય કોઝવે તૂટી જતાં ગામનો સંપર્ક તૂટી ગયો છે. ગઢડા શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ પડતાં પાણી ભરાવાની સ્થિતિ અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
બોટાદના સાગાવદર ગામે ગઈ કાલે રાત્રે આશરે સાત લોકો સવાર હતા તેવી એક કાર તણાઈ ગઈ હતી. મુસાફરો સહિત કાર તણાઈ ગયાની માહિતી મળતાં જ બોટાદની ફાયર રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
