રાજ્યમાં વકરતો રોગચાળોઃ ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં વધારો

અમદાવાદઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન પહેલાં રાજ્યમાં રોગચાળો વકર્યો છે. રાજ્યમાં 17 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના અધધધ 3334 કેસ નોંધાયા છે. છેલ્લા દોઢ જ માસમાં ડેન્ગ્યુના કેસમાં ચાર ગણો વધારો થયો છે, જ્યારે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.

આ સાથે સરકારી આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં ડેન્ગ્યુના 40,872 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુને કારણે પાંચ વર્ષમાં 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. મચ્છરજન્ય રોગચાળાને પરિણામે શહેરીજનો ત્રાહિ મામ્ પોકારી ગયા છે. રાજ્યમાં હાલ ગરમી વધી રહી છે. શ્રાદ્ધ પક્ષમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યના 12 શહેરોમાં 37 ડિગ્રી કરતાં વધુ ગરમી નોંધવામાં આવી છે. બીજી બાજુ રાજ્યમાં રોગચાળો વકર્યો છે.

રાજકોટમાં વરસાદી વાતાવરણને લઈ રોગચાળો સતત વકરી રહ્યો છે, જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતાં ડેન્ગ્યુ અને મેલેરિયાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરંમાં ડેન્ગ્યુના સૌથી વધુ 11 તેમજ મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. એટલું જ નહીં આ સપ્તાહે ચિકનગુનિયાનાં પણ છ કેસ નોંધાયા છે. આ સાથે શરદી- ઉધરસ તેમજ તાવના 521 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 164 સહિત કુલ 704 કેસ નોંધાયા છે.

શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દૈનિક ધોરણે 200થી વધારે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ આવી રહ્યા છે. જે રીતે દર્દીઓની કતારો જામી રહી છે, તેના કારણે દર્દીઓના માટે કેસ બારીઓ પણ ઓછી પડતાં વધુ બે હંગામી કેસ બારી માટેના કાઉન્ટર બહારની સાઈડમાં ખોલવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય એ માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે ફોગિંગ પણ સતત કરવામાં આવી રહ્યુ છે.