રાજ્યમાં આઠ શહેરોમાં દર ચાર કિમીએ એક સ્કૂલ બનાવીશું: સિસોદિયા

અમદાવાદઃ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ગુજરાત પહોંચ્યા છે. CBI દ્વારા નવી શરાબ નીતિને લઈને કરવામાં આવેલી તપાસ કર્યાના બીજા દિવસે તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર માછલાં ધોયાં હતાં. તેમણે પત્રકારો સાથે વાત કરતાં રાજ્યની સ્કૂલોની સ્થિતિ પર સરકારને ઘેરી હતી અને CBI તપાસ માટે પણ ભાજપને આડે હાથ લીધો હતો.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સ્કૂલોની હાલત ઘણી ખરાબ છે. અહીં સ્કૂલોની હાલત સુધારવાની જરૂર છે. અહીં સ્કૂલો મરજી મુજબ ફી વધારે છે. જે સરકારી સ્કૂલો છે, એની હાલત ઘણી ખરાબ છે. હું અહીં કહેવા આવ્યો છું કે કેજરીવાલને તક આપશો તો ગુજરાતની સ્કૂલો પણ સારી થશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકારી સ્કૂલોમાં 53 લાખ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. રાજ્યમાં 48,000માંથી 32,000 સ્કૂલોની સ્થિતિ ઘણી ખરાબ છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ જેવાં શહેરોમાં અમે શાનદાર સ્કૂલો બનાવીશું. દરેક ચાર કિલોમીટરના દાયરામાં સ્કૂલ બનાવીશું. વળી, અમે એક વર્ષની અંદર આ સ્કૂલો તૈયાર કરીશું.

તેમણે ગુજરાતની જનતાએ 27 વર્ષ ભાજપની સરકારનું કામકાજ જોયું. સ્કૂલોમાં કોઈ પરિવર્તન નથી થયું. આમ આદમી પાર્ટીને એક મળશે તો એ સ્કૂલોની કાયાપલટ થશે. તેમણે કહ્યું હતું કે હું જેલ જવા પણ તૈયાર છું, પણ ગુજરાતમાં સ્કૂલોના નિર્માણ નહીં અટકવા દઈએ. તેમણે કહ્યું હતું કે 44 લાખ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાં શિક્ષણ લે છે અને આ બધાં વિદ્યાર્થીઓનાં માતા-પિતા એ સંસ્થાઓ વિશે ફરિયાદ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં 18,000 સ્કૂલોમાં પર્યાપ્ત વર્ગ પણ નથી.