રાજકોટ: રાજતિલક મહોત્સવની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન

રાજકોટ: રણજીત વિલાસ પેલેસમાં ચાલી રહેલા ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના રાજતિલક મહોત્સવના ત્રીજા દિવસે શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થઇ હતી.  ૩૧ તીર્થ જળ, ૧૦૦ પ્રકારના મૂળિયા, ૧૪ પ્રકારની માટી, ઔષધિનો  અભિષેક કરવામાં આવ્યો હતો. ૫૧ શાસ્ત્રીજીએ આ કાર્ય સંપન્ન કર્યું હતું.

ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અભિષેકનો ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. રેકોર્ડ માટે લંડનથી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી હતી. એક જ સમયે એક વિધિમાં 51 પુરોહિતો દ્વારા અભિષેક કરવાનો રેકોર્ડ થયો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા જાહેર કરવામાં આવ્યો રેકોર્ડ. રાણી સાહેબ કાદમ્બરી દેવી , રાજકુમારી મૃદુલા કુમારીના હસ્તે વિશ્વ વિક્રમનું સર્ટિફિકેટ શાસ્ત્રીજીને અર્પણ કરવામાં આવ્યો હતો.

ગૌ શાળા, બળદના પગ, ગિરનાર પર્વત સ્થિત અંબાજી માતાની શકિતપીઠ, સોમનાથનો સમુદ્ર, હાથી દાંત, પીપળાનું ઝાડ વગેરેની માટીનો ઉપયોગ આ વિધિમાં થયો હતો.

શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે તે અનુસાર આવી રીતે અભિષેક કરવાથી રાજાના શરીરમાં દેવી – દેવતાઓનો વાસ થાય છે.

(જ્વલંત છાયા)