કોમેડીયન કુણાલ કામરા પર હવામાં ઉડવા પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ કોમેડીયન કુણાલ કામરા પર ઈન્ડિગો, એર ઈન્ડિયા, ગો એર અને સ્પાઈસ જેટ દ્વારા પોતાના વિમાનમાં યાત્રા કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે. કથિત રીતે પત્રકાર અરનબ ગોસ્વામી સાથે ખરાબ વર્તન કર્યાનો તેમના પર આરોપ છે. કુણાલ કામરાએ મુંબઈથી લખનઉની પોતાની ફ્લાઈટ દરમિયાન પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું.  ઇન્ડિગોએ છ મહિનાનો પ્રતિબંધ મુક્યો છે, તે બાદ એર ઇન્ડિયાએ પણ કામરાને અનિશ્વિતકાળ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આ ઉપરાંત સ્પાઇસ જેટ અને ગો એરે પણ કુણાલ કામરા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુક્યો છે.

ત્યારે હવે કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે.

ત્યારે આ મામલે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ઘટનાની નોંધ લીધી છે અને ભારતની અન્ય એરલાઈન્સને પણ કુણાલ કામરા પર આ રીતે બેન લગાવવાનું કહ્યું છે.

હરદીપ સિંહ પુરીએ આ મામલે કહ્યું કે, ખરાબ વ્યવહાર કે જે વિમાનની અંદર અરાજકતા ઉભી કરે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને યાત્રા કરનારા યાત્રીઓના જીવને સંકટમાં મૂકનારું છે. ઉલ્લેખનીય છે કે, કુણાલ કામરા મુંબઈ બેઝ્ડ કોમેડિયન છે અને તેઓ પોતાની કોમેડીને લઈને ખૂબ ફેમસ છે.

કુણાલ કામરાએ 8 વર્ષ સુધી ટીવી પર આવતી જાહેરાતોમાં કામ કર્યા બાદ, વર્ષ 2013 માં સ્ટેન્ડઅપ કોમેડીની શરુઆત કરી હતી.