તરણેતરના મેળાને મળી મંજૂરી..

રાજ્યમાં ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના લગભગ તમામ મેળા રદ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. આ દરમિયાન સુરેન્દ્રનગરનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે. સાંસદ, ધારાસભ્ય, પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

મળતી માહિતી અનુસાર, ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર કે.સી. સંપટ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. તરણેતરના મેળાની કામગીરી 31મી ઑગસ્ટથી શરૂ કરી દેવામાં આવશે.

અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં અતિભારે વરસાદને કારણે હાલમાં તરણેતર ગામ તળાવ, ડેમ, નદી, નાળા ઓવર ફ્લો થઈ ગયા છે. તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓ હાલની સ્થિતિએ જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ સંપૂર્ણ બંધ થાય તેવી શક્યતાઓ છે. જેનાં કારણે લોક મેળામાં આવનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક આફત સર્જાય તેમ હોય. જેથી જેથી ગ્રામ પંચાયત વર્ષ 2024નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાનાં હસ્તક કરવા માંગતી નથી.