રાજ્યપાલે ‘સૈન્ય દિવસ’ નિમિત્તે વિજયનાં અભિનંદન પાઠવ્યાં

અમદાવાદઃ ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી, 2021એ ‘સૈન્ય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય સૈન્યએ મેળવેલા વિજયના સ્વર્ણિમ વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ પ્રત્યક્ષરૂપે 15થી વધારે સ્થળે યોજવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર દેશના નાગરિકો માટે વર્ચ્યુઅલ માધ્યમથી પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈન્ય, વાયુસેના, BSF, તટરક્ષક દળ, પોલીસ દળના લગભગ 5000 જવાનો અને અન્ય ઉત્સાહિતોએ “સૈનિકો માટે દોડ, સૈનિકો સાથે દોડ”માં આપણા સશસ્ત્ર  દળોના શૌર્ય અને હિંમતની ઉજવણી કરવા માટે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તીની જરૂરિયાતને આગળ વધારવા માટે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને દેશવાસીઓમાં એકતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.

મુખ્ય સક્રિય દોડ મેરેથોનનો કાર્યક્રમ ગાંધીનગર મિલિટરી સ્ટેશનમાં પરબત અલી બ્રિગેડમાં યોજવામાં આવ્યો હતો, જેમાં 200થી વધારે સહભાગીઓએ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો અને કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને દોડ્યા હતા.

આ દોડના વિજેતાઓના સન્માન માટે ભવ્ય પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુખ્ય અતિથિ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. ‘ખુકરી નૃત્ય, મલખંબ અને માર્શલ સંગીત’ સહિત માર્શલ આર્ટ્સનું ભવ્ય પ્રદર્શન સહભાગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.