સાબરમતી પરનો ફૂટ ઓવરબ્રિજ ‘એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ‘

અમદાવાદઃ શહેરની સાબરમતી નદી પર નવું આકર્ષણનું કેન્દ્ર ‘ અટલ ફૂટ ઓવરબ્રિજ ‘ તૈયાર થઈ ગયો છે. રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર પાર્કથી એકદમ નજીક પશ્ચિમથી પૂર્વને જોડતો આ ફૂટ ઓવરબ્રિજ તૈયાર થતો હતો ત્યારે સૌ નગરજનો ઉત્સુક હતા કે આ નદી વચ્ચે શું બની રહ્યું છે? હાલ નદી પર બની ગયેલો ફૂટ બ્રિજ હેરિટેજ સિટી અમદાવાદમાં આર્કિટેક્ચરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નમૂનો પુરવાર થયો છે. આ બ્રિજની ચાલુ કામગીરીમાં અમદાવાદની એક આર્કિટેક્ટ કંપનીને ક્રિયેટિવ કામ માટે જોડવામાં આવી. ‘ક્રાફ્ટ ક્વેસ્ટ આર્કિટેક્ટ કંપની’ એ ફૂટ ઓવરબ્રિજને કલરથી માંડી કેટલાંક અવનવાં આકર્ષણોથી સજ્જ કર્યો. વડા પ્રધાનને હસ્તે સાંજે અટલ બ્રિજનું લોકાર્પણ થશે.

અમદાવાદસ્થિત આર્કિટેક્ચર કંપનીનાં ઉર્વી શેઠ ચિત્રલેખા. કોમને કહે છે લગભગ એંસી ટકા જેટલું ફૂટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું ત્યારે અમારી કંપનીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. અમારી આર્કિટેક્ચર કંપની લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ સાથે કામ કરે છે. અમદાવાદ  હેરિટેજ અને નવી ટેકનોલોજીના સમન્વયને જોડતું -વિકાસ પામી રહેલું શહેર છે.

અમદાવાદ શહેરમાં પતંગોત્સવને પણ ખૂબ જ ઉત્સાહથી માણવામાં આવે છે. વિન્ડ એનર્જી સાથે અમારી ટીમ દ્વારા ઉત્તમ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યાં છે. જેથી આખોય બ્રિજ નયનરમ્ય લાગશે. કુદરતી હવાથી સંચાલિત યંત્રોથી કાર્યરત ઊભી કરેલી કળા ખીલી ઊઠશે. હરતા, ફરતા અને પગપાળા નદીને માણવા આવેલા લોકોને આ ‘અટલ ફૂટ ઓવરબ્રિજ’ પર અવશ્ય મજા પડશે.

તેઓ કહે છે કે અમદાવાદીઓની હવે જવાબદારી છે કે આ નવું આકર્ષક નજરાણું સૌ સ્વચ્છ રાખીએ. કારણ..આ અટલ ફૂટ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ પણ મુલાકાત લેશે.

અમદાવાદમાં સા4બરમતી નદીના બે છેડાને જોડતો અટલ ફૂટઓવર બ્રિજ એ સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે, જુઓ વિડિયો…

(પ્રજ્ઞેશ વ્યાસ)