ગુજરાતમાં આકાર પામતી બુદ્ધિસ્ટ સર્કિટ, 13 સ્થળ પર પ્રવાસન વિકાસ કાર્ય

ગાંધીનગર– ગુજરાતનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભવ્ય વારસામાં ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલ અનેક ઘટનાઓ અને સ્થળોનો ઘણો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં એવા અનેક સ્થળો છે જ્યાં ભગવાન બુદ્ધ વિહાર કરી ગયાં હોય. બુદ્ધ ધર્મના અનુયાયીઓ જ્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલાં છે ત્યારે એમના આરાધ્ય એવા ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા ગુજરાતમાના તેર જેટલાં સ્થળોને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પર્યટનસ્થળ તરીકે એકરૂપતા સાથે વિકસાવી બુદ્ધિસ્ટ પ્રવાસન સરકીટ બનાવવામાં આવી રહી છે.આ આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સરકીટ વિકસાવવા માટે ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશન સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં, દેવની મોરીને મહત્વના ગ્લોબલ બુદ્ધસ્ટ સ્પિરીચ્યુયલ સ્થળ રૂપે વિકસાવી કુલ 13 જેટલા સ્થળોનો વર્લ્ડ-ક્લાસ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનું આયોજન છે અને દેશ તેમજ વિદશમાં આવેલા બુદ્ધિસ્ટ સ્થળો સાથે જોડવામાં આવશે. આ પ્રવાસન સ્થળો તરીકે વિકાસ કરવા સાથે સ્થાનિક વિસ્તારમાં કાયમી સમાન વિકાસ કરવાનું લક્ષ છે. આ બધા સ્થળોમાં દેવની મોરી એ મેશ્વો નદી ઉપર આવેલ વિશાળ બૌદ્ધ સ્તૂપ, ચૈત્ય, વિહાર ધરાવતું મહત્વનું સ્થળ છે. જે અંગેનું સંશોધન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું.પ્રારંભિક ધોરણે ગુજરાત સ્થિત 12 બુદ્ધિસ્ટ સર્કિટને વિકાસ માટે પસંદ કરવામાં આવી છે. આ બુદ્ધિસ્ટ સર્કિટો પર અત્યાધુનિક, દરેક પ્રવાસીઓને અનુકુળ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે સ્થળોને સરકીટ હેઠળ આવરી લેવાનું આયોજન છે એમાં જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ,ગીર સોમનાથની સાના ગુફાઓ,પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ,ભરૂચનો કડિયા ડુંગર,કચ્છની સિયોત ગુફાઓ,ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ,રાજકોટની ખંભાલિડા ગુફાઓ,વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ,મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓ અને મેશ્વો નદીના કિનારે વિકસેલ પ્રાચીન દેવની મોરી મળીને કુલ તેર સ્થળોનો સમાવેશ સમાવેશ થાય છે.આ બુદ્ધિસ્ટ સ્થળો ઉપર અપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, ટુરિસ્ટ કીઓસ્ક, સાઈનેજિસ, પ્રવાસીઓની સુરક્ષા માટે સિક્યુરિટી કેબિન, CCTV કેમેરા, પ્રવાસીઓને બેસવા માટેના બાંકડા, પીવાના પાણીની સુવિધા, અન્ય પ્રવાસી સુવિધાઓ સાથે મુખ્ય બિલ્ડીંગ કોમ્પ્લેક્સ, ઈંટરપ્રિટેશન સેન્ટર, કેફેટએરિયા, રિફરેશમેંટની સુવિધા તેમજ સોવિનિયર શોપ, કાર પાર્કિંગની સુવિધા, વોચ-ટાવર, એકઝીબિશન અને ઓરિએનશનલ સેન્ટર, રેસ્ટિંગ એરિયા જેવી ઉચ્ચ સુવિધાઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવામાં આવશે.

દેવને મોરી ખાતે ભગવાન બુદ્ધના સમયના અવશેષોનું પ્રદર્શન બનાવવામાં આવશે. જ્યાં પાણી માટે કૂંડ, બ્રિજ, ભવ્ય સ્તૂપનું પુન: નિર્માણ, ગ્રંથાલય જેવી શિક્ષણિક સુવિધાઓ, મેશ્વો રીવર ફ્રન્ટ, ઘાટ અને બાયો ડાયવર્સિટીનું સરક્ષણ અને સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલમેલ પણ કરાશે. સ્થાનિક લોકોને સાકળતી આર્ટ્સ અને ક્રાફ્ટ્સ હાટ પણ બનશે.

ગુજરાતમાં પર્યટન પ્રવ્રત્તિના વિકાસ માટે જે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં કેવડીયા ખાતે સરદાર સરોવર બંધના સાનિધ્યમાં ઉભી કરાયેલી દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની૧ ૮૨ મીટર ઊંચી પ્રતિમા અને બુદ્ધ સ્પિરિચ્યુયલ પ્રવાસન સરકીટ ખૂબ જ મહત્વ ધરાવે છે. ગુજરાત સરકારે બુદ્ધિસ્ટ પીલ્ગ્રીમેજ સરકીટને આપેલા વિસ્તૃત ઓપને કારણે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ગુજરાતમાં પરિભ્રમણ માટે આવે છે અને ભગવાન બુદ્ધના વિવિધ સ્મારકો, પ્રદર્શનો, સ્તુપોની મુલાકાત લે છે અને ભવ્ય ઇતિહાસને વાગોળી ધન્યતા અનુભવે છે.