SVPI-એરપોર્ટ ‘આઝાદીના અમૃત મહોત્સવ’માં ત્રિરંગાના રંગે રંગાયું

અમદાવાદ: દેશભરમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ત્રિરંગાના રંગે રંગાઈ ગયું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. ત્રિરંગામાં સજ્જ એરપોર્ટની છબી, સ્પેશ્યલ સેલ્ફી પોઈન્ટ્સ અને અદભૂત ડેકોરેશન્સે આ ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

અમદાવાદના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલને સ્વાતંત્ર્ય દિનના થીમ પર શણગારવામાં આવ્યા છે. ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18×18 ફૂટની પ્રતિકૃતિએ ખાસ આકર્ષણ જમાવ્યું છે. સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યો છે.

એરપોર્ટની શોભામાં અભિવૃદ્ધિ અર્થે બન્ને ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોચ રોડને પણ રોશનીથી સજાવવામાં આવ્યા છે.