આણંદમાં માર્ગ અકસ્માતમાં છ જણનાં કરૂણ મરણ

આણંદઃ ગુજરાતના આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ નજીક ગઈ કાલે મોડી સાંજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે. એક કાર એક ઓટોરિક્ષા તથા એક મોટરબાઈક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બે જણનું ઘટનાસ્થળે જ મરણ થયું હતું જ્યારે અન્ય ચાર જણે ગંભીર ઈજાને કારણે સોજિત્રાની એક હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

મૃતકોમાં એક જ પરિવારની ત્રણ મહિલાનો સમાવેશ થાય છે – બે બહેન અને એમની માતા. અકસ્માતમાં ઓટોરિક્ષા ડ્રાઈવર તથા મોટરબાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. રિક્ષામાં બેઠેલાં અન્ય ત્રણ જણ અને મોટરબાઈક પર પાછળ બેઠેલી એક વ્યક્તિનું ગંભીર ઈજાને કારણે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે કાર કેતન પઢિયાર નામની વ્યક્તિના નામે રજિસ્ટર થઈ છે, જે કોંગ્રેસના વિધાનસભ્ય પૂનમભાઈ પરમારનો કોઈ સગો હોવાનું મનાય છે.

મૃતકોનાં નીચે મુજબ છેઃ

  • સંદીપ ઠાકોરભાઈ ઓડ – બોરીયાવી ગામ
  • યોગેશ રાજુભાઈ ઓડ – બોરીયાવી ગામ
  • જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી – સોજીત્રા રહેવાસી
  • વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી – સોજીત્રા
  • જાનવી વિપુલભાઈ મિસ્ત્રી – સોજીત્રા
  • યાશીનભાઈ મોહમ્મદભાઈ વહોરા – સોજીત્રા

સોજીત્રાની ડાલી ચોકડી પાસે અકસ્માત કરનારો કારચાલક ઝડપાયો છે. અકસ્માત સર્જી એ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે આખરે એને ઝડપી લીધો છે.