ગ્રામીણ પરંપરા: કૂતરાં માટે તેર મણ લાડુ બનાવ્યા

અમદાવાદઃ નરોડાથી નજીક આવેલા વહેલાલ ગામના પુરુષો છેલ્લાં ઘણાં વર્ષોથી ઉતરાયણ નિમિત્તે શ્વાન માટે લાડવા બનાવે છે. શ્વાન માટે લાડવા બનાવવી ખવડાવવાની જીવદયા હવે એક પરંપરામાં ફેરવાઈ ગઈ છે. વહેલાલ ગામના ભાઇઓ બહેનો પાસેથી જ  ફંડફાળો અને ચીજવસ્તુઓ ઉઘરાવી ભેગા મળી લાડુ બનાવવાનું આયોજન કરે છે.

સતત ચાલતી જીવદયાની આ  પરંપરા મુજબ  આ વર્ષે પણ 13 મણ લાડુ બનાવવામાં આવ્યા હતા, જેમાં 120 કિલો લોટ, 75 કિલો તેલ અને ચોખ્ખું ઘી, 60 કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેવા માટે હંમેશાં તત્પર ગામની મહિલાઓ, યુવતીઓએ લાડુ બનાવવાની, લાડુ વાળવાની તમામ કામગીરીની જવાબદારી ઉપાડી લીધી હતી.

ગામના સહયોગથી તૈયાર થયેવા લાડુ ગામની દરેક ગલી ને ફળિયાની સાથે વહેલાલ ગામની સીમમાં આવેલાં શ્વાનોને પણ ઉત્તરાયણ પૂર્વે બે-બે વાર ખવડાવવામા આવે છે. એટલે જ કહે છે.. ગામની કૂતરી ગલૂડિયાંને જન્મ આપે એનેય ધરાઈને ખવડાવવાની આપણી સંસ્કૃતિ છે…

 

(પ્રજ્ઞેશ વ્યાસ)