‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું રક્ષણ 272 CISF જવાનો કરશે

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ સ્મારક-પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રક્ષણ માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સ (CISF)ના જવાનોને તૈનાત કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ જવાનોને તૈનાત કરવાનું કામ 25 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 272 જવાનોને તૈનાત કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે CISFના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજનને આ વિશે પત્ર મોકલી દીધો છે.

ઉલ્લેખનીય છે કે દેશના તમામ વિમાનીમથકો અને દિલ્હી મેટ્રો તેમજ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સંવેદનશીલ સરકારી ઈમારતોનું રક્ષણ CISF દ્વારા કરવામાં આવી રહ્યું છે.

એવું કહેવાય છે કે આવતી બીજી સપ્ટેંબરથી મુલાકાતીઓને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવાની પરવાનગી ફરી આપવામાં આવશે. કોરોના વાઈરસના ફેલાવાને લીધે અમુક મહિનાથી આ સ્મારક ખાતે મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.