રાજકોટ અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓની થશે તપાસ!

રાજકોટમાં બનેલ માનવ સર્જીત ગોઝારો અગ્નિકાંડને આજે 20 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. 25મી મેના રોજ રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત 27 માસૂમ લોકોના જીવન હોમાયા હતા. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોનમાં સઘન તપાસ અને અગ્નિકાંડની દુર્ધટનાની ખામીઓને લઈ તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે.

ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં 19માં દિવસે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી.

સુઓમોટો અરજીની સુનાવણીમાં એડવોકેટ પંચાલે હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ જેવા સ્થળોએ નિયમો અનુસાર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સમયે-સમયે ચેકિંગ કરવી જોઈએ. બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહી. આ ઉપરાંત મૃતકોના પરિવારને વળતર આરોપીઓએ ચૂકવવા જેવા મુદ્દા કોર્ટ સમક્ષ રાખ્યા.

ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. SIT ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. રાજકોટ ગેમ ઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.

રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે નવ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે તમે નાની માછલીઓ પકડી છે, મોટા અધિકારીઓની ધરપકડ કરી નથી, જે ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હાજર હતા. ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઉભું થયું નહોતું. નગરપાલિકા અને મહાનગરપાલિકાનું તંત્રની કામગીરી કેવી છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે.