ચૂંટણી પંચ દ્વારા સરકારને ચૂંટણી યોજવા વિશે જરૂરી નિર્દેશો અપાયા

ગાંધાનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય  વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ગેરરીતિ ન થાય એ માટે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા અને ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓની બદલી કરવા સૂચના આપવામાં આવી છે. આ નિયમમાં શિક્ષક, શાળાના આચાર્ય, તબીબ અને ઇજનેર વગેરે સરકારી નિમણૂકોના કિસ્સામાં છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ તેમાંથી કોઈની સામે ફરિયાદ હોય કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય તો તેમની પણ બદલી કરવામાં આવશે. એટલું જ નહીં, તેમની ખાતાકીય તપાસ પણ કરાવી શકશે. સરકારી અધિકારી-કર્મચારીઓની બદલી કે નિમણૂકની પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી દઈને મુખ્ય સચિવને જાણકારી આપવા પણ પંચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તેવાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા સરકારી કર્મચારી-અધિકારી અને પોલીસ અધિકારી કે કર્મચારીની બદલીની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવી છે. પંચે રાજ્યના જે સરકારી અધિકારી કે કર્મચારી સામે જો કોઈ ગુનાહિત કેસ કોર્ટમાં ચાલતો હોય તો તેમને ચૂંટણીને લગતી કામગીરીમાં નહીં મૂકવા પણ તાકીદ કરી છે. ગુજરાત વિધાનસભાની મુદત ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩એ પૂર્ણ થશે.

જે સરકારી કર્મચારીની બદલી કરાય તેમાં પણ તેમને વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે. જો અગાઉ કોઈ અધિકારી સામે શિસ્તભંગનાં પગલા લેવા ચૂંટણી પંચે સૂચના આપી હોય તેમને પણ ચૂંટણી કામગીરીમાં મૂકી શકાશે નહીં. તે સાથે તેમનું વતન હોય તેવા સ્થળે પણ ફરજ સોંપી શકાશે નહીં. પોલીસ તંત્રમાં પણ પીએસઆઇ કે તેનાથી ઉપરની રેન્કના અધિકારીઓને તેમના વતનમાં નિમણૂક નહીં આપી શકાય.

જે અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાને લગતી ફરજ સોંપાશે તેમણે પોતે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી કે ઉમેદવારના સંબંધી નથી તેમ જ કોઈ ક્રિમિનલ કેસ પેન્ડિંગ નથી તેવું સોગંદનામું પણ કરવાનું રહેશે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ કર્મચારી-અધિકારી સામે કેસ પેન્ડિંગ હોય તેમને ચૂંટણીની ફરજમાં નહીં મૂકવા સૂચના આપવામાં આવી છે.