ગુજરાતમાં ફરી જામી મેઘ મહેર, 98 તાલુકામાં નોંધાયો વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાનો રાઉન્ડ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ફરી ચોમાસું જામવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજું આ સર્ક્યુલેશમનની રાજ્યમાં અસર વરતાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે દિવસ દરમિયાન 18 તાલુકામાં હળવાથી મધ્યમ નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં વલસાડના પારડીમાં ચાર કલાકમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 1.77 ઈંચ, નવસારીના વાંસદામાં 1 ઈંચ જ્યારે સુરતના પલસાણા-મહુવામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ મઘ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં આજે (24મી સપ્ટેમ્બર) જ્યાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.  25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી બાજું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.