જાણો ગુજરાતમાં ક્યાં કેટલા પાણીનો જળસંગ્રહ છે..

રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને પગેલ કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે, તો ગુજરાતના કેટલાક જળાશયોમાં નવા નિરના આગમન પણ થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બોરસદમાં તો આભ ફાટ્યું હતું. ધોધમાર 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી જ પાણી થઈ ગયું હતું. બીજી તરફ ભારે પવનના કારણે ગીરનાર અને પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરાઈ છે.

 રાજ્યમાં ભારે વરસાદના પગલે મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે. જેમાં 46 જેટલા જળાશયો સંપૂર્ણ છલકાય ભરયા હોવાનું નોંધવામાં આવ્યું છે. પાણીની વધું આવક હોવાથી  આ જળશયોને હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. તો બીજી બાજું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.06 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતના કુલ 206 જળાશયોમાં 42.96 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં 51,708 ક્યુસેક, ઉકાઈમાં 33,168 ક્યુસેક અને હિરણ-2માં 15,789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં 13,530 ક્યુસેક, ભાદર-2માં 13,172 ક્યુસેક, વેણુ-2માં 12,943 ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 26 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા, કચ્છના 20માં 49.23, દક્ષિણ ગુજરાતના 13માં 46.16 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.17, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સિઝનનો એવરેજ 53.25 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 73.46 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 75.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.07 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.34 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32.37 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.