સાણંદ તાલુકામાં બાળકોનાં નામ પરથી વૃક્ષો ઊછેરાશે

અમદાવાદઃ એ તો તમે જાણો જ છો કે, સમગ્ર વિશ્વમાં ૧થી ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓમાં એ વિષય પર જાગૃતિ આવે અને બાળક્નો યોગ્ય માનસિક અને શારિરીક વિકાસ થાય.

“વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી

એ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી હમણાં જ પૂરી થઇ. આનો હેતુ મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્યતા અને ફાયદાઓથી માહિતગાર કરવાનો છે.

આ અંતર્ગત, સપ્તાહના છેલ્લા દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા ઘટકના સીડીપીઓ હીરલબહેન રાવલ, મુખ્ય સેવિકા બહેન દક્ષાબહેન રાણા દ્વારા વનાળિયા, ઉપડદડ તથા ગોવિંદા ગામમાં ૩૦ ઘરોનો  રૂબરૂ સંપર્ક કરીને સગર્ભા અને ધાત્રી માતાઓના ઘરે જઇને વૃક્ષારોપણ કર્યું હતું.

કાજલના નામ પરથી આંબાનું વૃક્ષ વાવવામાં આવ્યું

કૈલાસબહેન રણછોડભાઇ પટેલના ઘરે જઇને તાજેતરમાં જ જન્મેલી દીકરી કાજલના નામ પરથી તેમના આંગણામાં આંબાનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપડદડ ગામે ભાવેશના નામ પરથી સરગવાનું વૃક્ષ ઉગાડવામાં આવ્યુ હતું.

નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન

ખરેખર તો સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે. સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી કરીને માતાના દૂધનું પોષણમૂલ્ય જળવાય રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઊણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે.

બાળકોનાં નામ પરથી 30 વૃક્ષો

આ ઉપરાંત, સાણંદ તાલુકામાં બાળકોનાં નામ પરથી 30 વૃક્ષો ઊછરશે. ત્રણેય ગામમાં ટીમ દ્વારા આંબા, દાડમ, ચીકુ અને સરગવો વગેરે વિવિધ ફળોનાં વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. તે વૃક્ષનું નામ આ સપ્તાહમાં જન્મેલા બાળકનું જે નામ છે તે જ નામ આપવામાં આવ્યું. બહેનોએ માતા-પિતા અને પરિવારને આ વૃક્ષોનો યોગ્ય ઉછેર પોતાના બાળકની જેમ જ કરવાનું સમજાવ્યું હતું અને આપણા જીવનમાં વૃક્ષોનું શું મહત્ત્વ રહેલું છે, એ વિશે માહિતી આપી હતી.