અમરેલીમાં રૂ. 150 કરોડના મૂડીરોકાણ સાથે એરક્રાફ્ટ યુનિટ સ્થપાશે

અમદાવાદઃ જો બધું સમુંસૂતરું રહ્યું તો 2021ના અંત સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલીમાં એરક્રાફ્ટ (વિમાન)નું ઉત્પાદન શરૂ થઈ જશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગે ગુરુવારે રાજ્યમાં અમદાવાદ સ્થિત એરો ફ્રેયર ઇન્કોર્પોરેટ સાથે MoU પર હસ્તાક્ષર કર્યાની ઘોષણા કરી હતી, જેમાં કંપની એરક્રાફ્ટના ઉત્પાદન એકમમાં ફ્લાઇટ ટેસ્ટિંગ અને MRO ( મેઇનટેઇન્સ, રિપેર અને ઓપરેશન્સ)ની સુવિધા શરૂ કરવામાં આવશે. કંપનીએ હાલમાં ટૂ સીટર એરક્રાફ્ટ અને ફોર-સીટર એમ્બ્યુલન્સ માટે ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે રૂ. 150  કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

એ પ્રોત્સાહજનક છે કે ગુજરાત સિવિલ એવિયેશન વિભાગે એરો ફ્રેયર ઇન્ક સાથે રાજ્યમાં ફ્લાઇટ ટેસ્ટિંગ અને MRO સુવિધા માટે એક એરક્રાફ્ટ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કંપની સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે, એમ ગુજસેલ ઇન્ડિયાએ સોશિયલ મિડિયાની પોસ્ટમાં જણાવ્યું હતું.

ગુજસેલ ઇન્ડિયાના CEO કેપ્ટન અજય ચૌહાણે કહ્યું હતું કે ભવિષ્યમાં ખાનગી અને અન્ય ઉપયોગો માટે નાના એરક્રાફ્ટની વધતી માગને પહોંચી વળવા માટે ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવામાં આવી રહી છે. આ ઉત્પાદન પ્લાન્ટનું હાલમાં અમરેલીમાં હવાઈ ક્ષેત્રની પાસે 8.5 વીઘા જમીનમાં બાંધકામ ચાલી રહ્યું છે.  આ એરફીલ્ડનો ઉપયોગ વિમાનના પરીક્ષણ માટે કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.  

કંપનીના એરો ફ્રેયર ઇન્કના CEO અભિમન્યુ દેથાએ કહ્યું હતું કે અમારી યોજના આ વર્ષના અંત સુધીમાં પહેલા વિમાનનું ઉત્પાદન કરવાની છે.