અમદાવાદમાં મેટ્રો સફેદ હાથીઃ બે વર્ષમાં 321 કરોડની ખોટ!

અમદાવાદમાં મેટ્રોનો પ્રારંભ થયાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીના રૂટનું ઉદ્ઘાટન 2022માં કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ અનેક નાગરિકો માટે હવે ‘લાઇફ લાઇન’ સમાન બની ગઈ છે. અલબત્ત, હજુ પણ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન માટે મેટ્રો રેલ સફેદ હાથી પાળવા સમાન પુરવાર થઈ રહ્યું છે. સરકરી આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2022-23માં 321 કરોડ રૂપિયાની ખોટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને થયેલી છે.

જીએમઆરસીને વર્ષ 2022-23માં પ્રતિ દિવસે સરેરાશ 87 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું. જ્યારે વર્ષ 2021-22ની સરખામણીએ ખોટમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2021-22માં 465 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. હવે નવા રૂટ અને વધતાં મુસાફરોને પગલે ખોટની આ રકમ દર વર્ષે ઘટવા લાગે તેવી પૂરી સંભાવના છે. મેટ્રો રેલ અનેક નાગરિકો માટે હવે લાઇફ લાઇન’ સમાન બની ગઈ છે. ટુ વ્હિલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની જ્યારે ખિસ્સાને 50 રૂપિયા સુધીની બચત થાય છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી વાહનમાં અંદાજે 26 કિલોમીટર જ્યારે મેટ્રોમાં એક રૂપિયા કિલોમીટરનું અંતર થાય છે. આ જ રીતે નોર્થ વેસ્ટ કોરિડોરમાં એપીએમસીથી મોટેરાનો મેટ્રોમાં રૂટ અંદાજે 18 કિલોમીટર છે.

સરકારી સૂત્રોની માહિતી પ્રમાણે ઑક્ટોબર 2022થી ઑગસ્ટ 2024 સુધી મેટ્રોમાં દરરોજ સરેરાશ 72514 મુસાફરોથી 8.88 લાખ રૂપિયાની આવક થઈ છે. આ વર્ષે જાન્યુઆરીથી ઑગસ્ટ સુધી મેટ્રોમાં 2.31 કરોડ મુસાફરો નોંધાયા છે, જ્યારે 27.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેની સરખામણીએ ગત વર્ષે 2.53 કરોડ મુસાફરો નોંધાયા હતા. બે સપ્તાહ અગાઉ મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોરના આંશિક રૂટનું ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. 14 દિવસમાં 56 હજાર જેટલા મુસાફરોએ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરીએ કરી છે.