ફાયર એનઓસી મુદ્દે હાઇકોર્ટે AMCની આકરી ઝાટકણી કાઢી

અમદાવાદઃ રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને છે, ત્યારે જ આપણે થોડોક સમય પૂરતા જાગ્રત થતા હોઈએ છીએ અને એ પછી જ્યારે ઘટનાને થોડા દિવસો વીતી ગયા પછી આપણે સૌ બધું ભૂલી જઈએ છીએ. અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘના હોય કે પછી ભરૂચની કોવિડ હોસ્પિટલની દુર્ઘટના. રાજ્યની અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની દુર્ઘટનાના મામલે ફાયર NOC મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે ફાયર એનઓસી ના હોય તો હોસ્પિટલને સીલ કેમ નથી કરવામાં આવતી? દર્દીને દાખલ કેવી કરાય છે? અમદાવાદમાં 400 હોસ્પિટલો પાસે જરૂરી મંજૂરી નથી, શું આ આંકડો તમને નાના લાગે છે?

હાઇકોર્ટે કહ્યું હતું કે તમે લોકો કોર્ટ મામલો ધ્યાનમાં લે, એ પછી જાગો છો. તમે ભૂતકાળમાં શું કરતા હતા. શહેરમાં અનેક બિલ્ડિંગોમાં ફાયર એનઓસી નથી, કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, એવો સવાલ જસ્ટિસ ત્રિવેદીએ પૂછ્યો હતો.

નગરપાલિકા હેઠળ 2450 હોસ્પિટલો છે અને નર્સિંગ હોમ્સ સાથે સ્થાનિક સંસ્થાઓ પાસે પણ ફાયર એનઓસી નથી, શહેરમાં 3894 સ્કૂલો પાસે ફાયર એનઓસી નથી. આ ઉપરાંત 5693 ફેકટરીઓ અને ઓદ્યૌગિક યુનિટ પાસે એનઓસી નથી. આપણે ફાયર ટીમને દરેક બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે મોકલી શકાય. કોમર્શિયલ બિલ્ડિંગમાં એનઓસી વગર કોવિડ હોસ્પિટલોમાં ચાલી રહી છે. વિશેષ બિલ્ડિંગ વપરાશ માટે બિલ્ડિંગને વાપરવાની મંજૂરી આવી જોઈએ અને રહેણાક બિલ્ડિંગનો ઉપયોગ હોસ્પિટલ તરીકે કરી ન શકાય. ફાયર એનઓસી વગર BU પરમિશન કેવી રીતે આપી દેવાય છે?  એવો સવાલ હાઇકોર્ટે પૂછ્યો હતો.  કોર્ટ આ વિશે વધુ સુનાવણી એક જૂને કરશે.