સાર્વત્રિક વરસાદથી ગુજરાત જળાશયો છલકાયા

ગુજરાતમાં સાર્વત્રિક મેઘરાજાની ધમાકેદાર બેટિંક રાજ્યમાં લગભગ જળાશયો નવા નીરથી છલકાયા છે. રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 23 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ગત સપ્તાહે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યના તમામ જળાશયમાં પાણીની ધરખમ આવક નોંધાય છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,87,701 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 78.45 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. આજની મળતી માહિતી અનુસાર રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવક સામે 79 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 82 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 79 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.