રાજ્યમાં કોરોના વાયરસના વધુ 22 કેસઃ 13 અમદાવાદના

ગાંધીનગરઃ કોરોના વાયરસ રાજ્યમાં દિવસો જતા પોતાનો વધારે કહેર વરસાવી રહ્યો છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે, લોકોને ચુસ્ત પણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ આમ છતા લોકો જાણે મોજ કરવા માટે વેકેશન આપવામાં આવ્યું હોય તેવી રીતે શેરી, મહોલ્લા કે પછી પોતાના ફ્લેટના ધાબા પર એકત્ર થઈને આનંદ કરતા હોય છે કે જે ખરેખર ખતરનાક છે. અને કદાચ આ કારણોસર જ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના આંકડા રોજે-રોજ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે.

આજે સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોનાના કુલ 22 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસ 538 થયા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી. રવિવારની પ્રેસ કોન્ફરન્સ બાદ નવા બે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં એક અને વડોદરામાં એક કેસ નોંધાયો છે. જે પ્રમાણે કુલ 26 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સોમવારે 13 નવા કેસ સામે આવ્યા છે.

ડૉક્ટર જયંતિ રવિના કહેવા પ્રમાણે સોમવારે કોરોના વાયરસને કારણે રાજ્યમાં બે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક મોત થયા છે. વડોદરામાં જે મોત થયું છે તે દર્દીને ડેન્ગ્યૂ હતો. જે બાદમાં તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. વડોદરામાં જે મોત થયું છે તે યુવકની ઉંમર માત્ર 27 વર્ષ હતી. જ્યારે અમદાવાદના મૃતકની ઉંમર 76 વર્ષ હતી.

રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 538 કેસ નોંધાયા છે. જેમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. 461 લોકોની તબીયત સ્થિર છે. જ્યારે અત્યાર સુધી 47 લોકો સાજા થયા છે, જેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

સોમવારે અમદાવાદમાં 13 નવા કેસ નોંધાયા છે. આ સાથે આણંદમાં 1, વડોદરામાં 1, બનાસકાંઠામાં 2, સુરતમાં પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં 13 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. સોમવારે રાજકોટના બે અને ગીર-સોમનાથના એક દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં સોમવારે જમાલપુર, મણિનગર, બહેરામપુરા, વેજલપુર, બોપલ અને વટવા વિસ્તારમાં કેસ નોંધાયા છે.