‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લેડી ગવર્નર દર્શનાદેવી સાથે રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પૌત્ર આર્યમાને પણ દાદીમાં અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું હતું. રવિવારે સાંજે વરસતા વરસાદમાં વૃક્ષારોપણ કરીને તેમણે દરેક નાગરિકને ઘર આંગણે પરિવારજનો સાથે વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, આપણા સૌના જીવનમાં માનું વિશેષ મહત્વ છે, કારણ કે મા આપણું પાલન-પોષણ કરે છે. ધરતી મા પણ આપણી જન્મદાત્રી મા જેટલું જ આપણું પોષણ કરે છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે વૃક્ષારોપણ કરીએ. ધરતી મા ને રસાયણમુક્ત અને પ્રદૂષણમુક્ત બનાવીએ.  રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ બંધ કરીને આપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીએ એ વર્તમાન સમયની તીવ્ર માંગ છે. વરસાદની આ મોસમમાં પ્રત્યેક વ્યક્તિ વૃક્ષ વાવે, એટલું જ નહીં તેનું જતન-સંવર્ધન કરે એ જરૂરી છે. ધરતીમા નું ઋણ ચૂકવવા વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જેવા પ્રયાસોને પ્રત્યેક વ્યક્તિએ પ્રોત્સાહન આપવું જોઈએ.