ફિક્સ પગારના કર્મચારીઓની નોકરી સળંગ ગણાશેઃ CM

અમદાવાદઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં કર્મચારીઓના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સરકારના પ્રવક્તા મંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નીતિ અન્વયે નિમણૂક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ના ઠરાવ મુજબ દર્શાવેલી બઢતી તેમ જ મહત્તમ પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલાં નિમણૂક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચતર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવામાં આવશે.

તેમણએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણૂક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોકરક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.