ઝાયડસની ‘વિરાફિન’ કોરોનાની સારવાર માટે ઇમર્જન્સીમાં મંજૂરી

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જોકે કોરોના રોગચાળામાં સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની ‘વિરાફિન’ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. વિરાફિનથી વરિષ્ઠોને ઇમર્જન્સી ઉપયોગમાં ઘણી મદદ મળી રહેશે.

કંપનીની ‘વિરાફિન’ નામની દવાને ઇમર્જન્સી ઉપયોગ માટે DCGI તરફથી મંજૂરી આપવામાં આવી છે. કોરોનાનાં હળવાં લક્ષણો ધરાવતા વયસ્ક લોકોને આ દવા ઉપયોગી થશે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે. એટલે કે આ દવા કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે તેનો ઉપયોગ ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ.

દેશમાં કોરોના બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,32,730 નવા કોરોનાના કેસ  આવ્યા અને 2263 લોકોનાં મોત થયાં છે.

દેશમાં સતત નવમા દિવસે કોરોનાના બે લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ત્રીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં સક્રિય કેસનો આંકડો 24 લાખને પાર થઈ ગયો છે.