અમદાવાદમાં શાળા અને મલ્ટીપ્લેક્ષ સૂના સૂના

અમદાવાદઃ કોરોના વાયરસે આખા વિશ્વમાં પોતાનો કહેર વરસાવ્યો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં લગભગ કોરોનાએ દેખા દીધી છે. યુરોપ અત્યારે કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. ઈટલીમાં પણ લોકો ભયમાં જીવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ કોરોના વાયરસ ભારત દેશમાં ન પ્રસરે તે માટેના પગલાં લેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે પણ સાવચેતીના પગલા રુપે જ્યાં વધારે લોકો એકઠા થતા હોય તેવી કેટલીક જગ્યાઓને 29 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં શાળા, કોલેજો, મોલ, મલ્ટીપ્લેક્સ, અને થિયેટરનો સમાવેશ થાય છે. આ સાથે જ ધાર્મિક, સામાજિક મેળાવડાથી પણ લોકોને દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. કોરોના સહિત કોઈપણ પ્રકારનો વાયરસ મહામારીનું કારણ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.

જો કે ગુજરાતમાં હજીસુધી કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છતા પણ ગુજરાતમાં કોરોના વાયરસ માથુ ન ઉચકે તે માટેના જરુરી તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)