શાળાઓમાં ધોરણ 10-12નું શૈક્ષણિક કાર્ય શરૂ

અમદાવાદઃ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત ના થાય એ માટે હજી સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી, પણ સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય બાદ ગાઇડલાઇન મુજબ ધોરણ 10-12નું શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. જેથી વહેલી સવારથી જ  શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓને કતારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઊભા રાખી સેનિટાઇઝેશન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગ ખંડની બેન્ચ પર પણ વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય  અંતર જાળવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ પોતાના શિક્ષકો, સાથીઓને મળી આનંદમાં આવી ગયા હતા.

શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ આવતાની સાથે જ  શિક્ષકો અને સંચાલકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. પરીક્ષાઓ નજીક હોવાથી શિક્ષકોએ કેવી રીતે વિષયોને તૈયાર કરવા, પેપરો કેવી રીતે લખવા એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

શહેરની ભાવિન સ્કૂલના સંચાલક કેતનભાઈ દીક્ષિત ચિત્રલેખા.કોમને  કહે છે કે  શિક્ષણ વિભાગનો ધોરણ 10 અને 12ને હાલના તબક્કે ચાલુ કરાવવાનો નિર્ણય ખૂબ જ  પ્રશંસનીય છે, કારણ કે ક્યારેક તો શરૂઆત કરવી પડે. વિદ્યાર્થીઓને પણ એક અલગ માહોલ મળે. અનેક મહિનાઓ બાદ શાળામાં આવેલા વિદ્યાર્થીઓને જોઈ કેમ્પસ જીવંત થઈ ગયું છે.

દેશમાં વધેલા કોરોનાના સંક્રમણને લીધે અત્યાર સુધી બાળકો કોરોના સંક્રમિત ના થાય એ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેવા તમામ વિભાગો બંધ રાખવામાં આવ્યા હતા.

 (પ્રજ્ઞેશ વ્યાસ)