CM રૂપાણીનો સ્વાતંત્ર્ય દિને પ્રજાજોગ સંદેશ: ગુર્જર ગિરાને ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ

અમદાવાદઃ બ્રિટિશરોને ગાંધીજીના નેતૃત્વમાં સૌએ ચળવળ ચલાવીને દેશવટો આપેલો, પણ હવે સુરાજ્ય માટે આપણે આગળ વધવાનું છે. હવે આ કોરોનાને પણ દેશવટો આપવાનો છે. ‘હારશે કોરોના-જીતશે ગુજરાત’ એ મંત્ર સૌએ સાકાર કરવાનો છે. આજથી સાત દાયકા પૂર્વે આઝાદીનો જંગ જીતીને સ્વરાજ્ય મળ્યું. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ સ્વરાજ્ય અપાવ્યું. હવે નરેન્દ્રભાઈ-અમિતભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે,એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું.

 વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત

સુરાજ્યની દિશામાં વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. કોરોનાના સંક્રમણને કારણે આપણી વિકાસયાત્રા જરૂર ધીમી થોડીક પડી હશે, પરંતુ ‘ન રુકના હૈ…ન ઝૂકના હૈ… વિકાસ કી ઔર આગે હી આગે બઢના હૈ…’આપણો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.  

કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત

કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોને સરકારે જગતના તાત ગણીને હંમેશાં એમના હિતને પ્રાધાન્ય આપેલું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદથી નુકસાન થશે તો સરકાર આ બધા ખેડૂતોની ચિંતા કરીને વળતર આપશે.

1,51,053 ચેકડેમ બનાવ્યા

૧૯૬૧થી ૨૦૦૦ સુધી ૪૦ વર્ષમાં માત્ર ૧૮ હજાર ૩૫૬ ચેકડેમ બન્યા હતા અને ૨૦૦૦થી ૨૦૨૦ સુધીમાં નવા એક લાખ એકાવન હજાર ત્રેપન ચેકડેમ બનાવ્યા છે. આપણે પાણીનો સંગ્રહ વધારવા સુજલામ્ સુફલામ્ યોજનામાં ગુજરાતે ઇતિહાસ રચ્યો છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2020

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની દિશામાં તાજેતરમાં જ આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2020 ગુજરાતનું એક વધુ નવું આગવું કદમ છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ૩૩૩ ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં FDIમાં 240 ટકાનો વધારો થયો છે.

રિકવરી રેટ 77 ટકા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય, પોતાના ઘરે પાછા જાય. ગુજરાતનો રિકવરી રેટ ૭૭ ટકા સુધી પહોંચાડ્યો છે. ચાર અક્ષરનો શબ્દ ‘ગુજરાત’ વિકાસ શબ્દનો પર્યાય બની ગયો છે. વિકાસ એ જ ગુજરાતની ઓળખ છે.