મુખ્યમંત્રીએ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ગુજરાતને ગ્રીન ગ્રોથ-હરિત વિકાસની નવી ઊંચાઇએ લઇ જવું છે.
તેમણે ક્લાયમેટ ચેંજ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ જતનની લડાઇ લડીને આપણી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અન્વયે વન વિભાગે ગબ્બર પર્વત નજીક મીયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા ૧૦ હજાર રોપાઓના વન કવચનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ સાથે વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના આવા વન કવચની નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા અને ધીરે-ધીરે વનસ્પતિનું આવરણ ઓછું થતું જાય છે તેવા ૧૦૦ થી ર૦૦ હેક્ટર વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ અને સીડ વાવેતરનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફ અન્વયે પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવાનો જે વિચાર આપેલો છે તેને અનુસરતાં ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગો પણ વધે તે માટેની રાજ્ય સરકારની ભૂમિકાની છણાવટ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ અંબાજીમાં માંગલ્ય વન થી કરાવ્યો હતો. આજે આવા રર વનો રાજ્યભરમાં છે અને અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. વધુમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજ્યમાં નમો વડ વન યોજના થકી ૮ર સ્થળોએ ૭પ વડ વૃક્ષોના વાવેતરને વ્યાપક લોકપ્રતિસાદ મળ્યો છે.
દરિયાઇ ખારાશ વધતી અટકાવવા વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ‘મિષ્ટી’ પ્રોજેક્ટ અન્વયે ગુજરાતમાં ૧૧ જિલ્લામાં રપ સ્થળો સહિત દેશભરમાં ૭પ સ્થળોએ મેન્ગ્રુવ વાવેતર માટે આ વર્ષના પર્યાવરણ દિવસથી લોકજાગૃતિ જગાવવામાં આવી રહી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ વન વિભાગ દ્વારા લોકોને વાવેતર માટે રોપાઓ સરળતાએ નજીકના સ્થળેથી મળી રહે તે માટે QR કોડ પણ લોંચ કર્યો હતો. તેમના હસ્તે અમીરગઢ ખાતે પવિત્ર ઉપવનનું લોકાર્પણ, આંતરોલી-થરાદ ખાતે પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ, વોટ્સએપ દ્વારા ઉદ્યોગોને CTE/CCAના ઓનલાઇન હુકમો આપવાની શરૂઆત, GPCB દ્વારા જાપાનીઝ ભાષામાં પર્યાવરણીય કાયદાઓ અંતર્ગત મંજૂરીઓ માટે માહિતી આપતા પુસ્તકની ચોથી આવૃતિનું વિમોચન, પર્યાવરણીય ઓડિટીંગ, મોનીટરીંગ અને ટેકનોલોજી પર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ માટે ચારૂસેટ યુનિવર્સિટી સાથે MOU અને “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી દરમિયાન પ્રદુષણમુક્ત ગામ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચશ્રીઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. વર્ષ-2021 માં ટીમરું પાનની હરાજીથી ઉલજેલ નફાનો DBT મારફત લાભાર્થીઓને નફાની વહેંચણી કરવામાં આવી હતી.