રાજ્યમાં બનશે C-295 એરક્રાફ્ટઃ PM મોદીને હસ્તે શિલાન્યાસ

વડોદરાઃ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની દિશામાં દેશ વધુ એક મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યો છે. રાજ્યના વડોદરામાં ટાટા અને એરબસ મળીને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવશે. જેથી આ મહિનાના અંતે વડા પ્રધાન મોદી આ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ એરક્રાફ્ટ ઇન્ડિયન એરફોર્સનો હિસ્સો બનશે. આ વાતની માહિતી ડિફેન્સ સેક્રેટરી અજયકુમારે આપી હતી.

ખાસ વાત એ છે કે દેશમાં અત્યાર સુધી એરક્રાફ્ટ નથી બનાવવામાં આવતા. ટાટાએ યુરોપિયન કંપની એરબસની સાથે મળીને સોદો કર્યો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 21,935 કરોડ છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી થવાની છે, એ પહેલાં સરકારે રાજ્યને વધુ એક ભેટસોગાદ આપી છે.

એવું પહેલી વાર છે, જ્યારે યુરોપની બહાર ટ્રાન્સોપોર્ટ એરક્રાફટ બનાવવામાં આવશે. સપ્ટેમ્બર, 2021માં જ ભારતે એરબસની સાથે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે એક સોદો પણ કર્યો હતો, જેમાં જૂના એવરો-748ને જગ્યાએ C-295 એરક્રાફ્ટ ખરીદવા માટે સોદો થયો હતો. આ સોદો રૂ. 21,000 કરોડથી વધુનો હતો. આ સમજૂતી હેઠળએરબસ પહેલાં 16 એરક્રાફ્ટને બનાવીને સ્પેનની એસેમ્બલી લાઇનથી ભારત મોકલશે. આ 16 એરક્રાફ્ટ આગામી ચાર વર્ષોમાં વિવિધ તબક્કે મળશે. બાકીના 40 એરક્રાફ્ટ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ એરબસના સહયોગથી બનશે. DGCAએ આ પ્રોજેક્ટને ગયા સપ્તાહે મંજૂરી આપી હતી. દેશમાં બનેલા એરક્રાફ્ટનો સપ્લાય 2026થી 2031 સુધી કરવામાં આવશે.

સરકરા નવા એકક્રાફ્ટને જૂના એવરો 748 વિમાનોને બદલવાની યોજના પર કામ કરી છે. આ પ્રોજેક્ટની સાથે સૌપ્રથમ વાર એવું થશે કે દેશમાં ખાનગી કંપનીઓ મળીને એરક્રાફ્ટ બનાવશે.

C-295 સેના અને રાહત કામો માટે વિશ્વાસપાત્ર એરક્રાફ્ટ માનવામાં આવે છે. કુદરતી આફતોમાં આ એરક્રાફ્ટ ઘણા ઉપયોગી થશે.