આદિવાસી બહેનોએ બનાવેલું વાંસનું અથાણું અદાણીના ઘરે પહોચ્યું

સુરત: અમદાવાદના સફળ પ્રવાસ પછી સુગંતાબહેન વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે અમે તાલીમ લીધી ત્યારે વિચાર્યું પણ ન હતું કે અમે અમદાવાદમાં પ્રદર્શનમાં ભાગ લઈશું અને વિશ્વના આટલા મોટા માણસને અમે મળી શકીશું, સપનું પણ જોયું ન હતું એવો અનુભવ મળ્યો છે. જેટલું અથાણું લઈ ગયેલા એનું તો વેચાણ થઈ ગયું પણ અમને બીજો ઓર્ડર પણ મળ્યો છે. અમારા સ્વ-સહાય જૂથની લગભગ 35થી વધુ બહેનોને આનો લાભ મળશે. એકદમ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની બહેનોએ લીધેલી તાલીમ અને અદાણી ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયા પછી એક મોટી તક મળી છે. આ સખી મંડળની બહેનો મુલાકાત બાદ ગામમાં બીજાં સખી મંડળોએ પણ આવાં કાર્યો સાથે જોડાવા માટે પ્રોત્સાહન મળ્યું છે.

અદાણી ગ્રુપના ગ્લોબલ કોર્પોરેટ હાઉસમાં ગ્રામ ભારતીને નામે એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત અને બીજાં અનેક રાજ્યોની બહેનો પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ યોજયું હતું, આ બંને આદિવાસી બહેનોના અથાણાંને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રીમતી ડૉ. પ્રીતિબહેન અદાણીએ બહુ પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહક ઇનામ પણ આપ્યું હતું.

સુરત ઉમરપાડાના ધાણાવડ ગામની બે આદિવાસી મહિલા સુગંતાબહેન દિનેશભાઈ વસાવા અને રાજીલાબહેન વસાવા અને તેમના જેવી બીજી અનેક બહેનોને અદાણી ફાઉન્ડેશન હજીરા, ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન, આરસેટી – (બેન્ક ઓફ બરોડા) સુરત અને મિશન મંગલમ શાખા, ઉંમરપાડા દ્વારા ધાણાવડ ગામમાં ઓગસ્ટ, 2022મા સ્વ-સહાય જૂથની બહેનોને સ્વરોજગારી મેળવે એ અર્થે પાપડ, અથાણાં અને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ ભારતી 2022 લોકલ ફોર વોકલ પ્રદર્શનમાં જવાની તક સુગંતાબહેન અને રાજીલાબહેનને મળી હતી.

અદાણી ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રીમતી પ્રીતિબહેન અદાણી અને અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમભાઈ અદાણીએ આ બન્ને બહેનોની સાથે ચર્ચા કરીને વાસનાં અથાણાંથી થતા ફાયદા અને તેને બનાવવાની રીત વિશે માહિતી મેળવી હતી. તેમના દ્વારા બહેનોને આ વ્યવસાય સાથે આગળ વધે તેવી શુભેચ્છા અને પ્રોત્સાહક ઇનામ પણ આપ્યું હતું.