કોરોના વાઇરસ નબળો પડતાં જ ધોરણ 10-12 ની પરીક્ષા શરૂ

અમદાવાદઃ ગયા વર્ષે કોરોના વાઇરસ હાહાકાર મચાવી ગયો. પરીક્ષાઓ રદ થઈ ગઈ અને એક સાથે માસ પ્રમોશન થયું. વર્ષ 2022માં કોરોના રોગચાળો નબળો પડતાંની સાથે જ શૈક્ષણિક કાર્ય ચાલુ થયું. આ વર્ષે ધોરણ 10-12ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું. 28 માર્ચ, 2022ને સોમવારથી રાજ્યમાં ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.  રાજ્યમાં આજે ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.  ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4.65 લાખથી વધુ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,08,067 ઉમેદવારો મળી કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

શહેર અને રાજ્યની કેટલીક  શાળાઓએ ફૂલોથી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. શહેરની ભાવિન વિદ્યા વિહાર જેવી શાળાએ સરસ્વતીની મૂર્તિ મૂકી હકારાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. શાળાના શિક્ષકોએ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને સાકર આપી મોં મીઠું કરાવ્યું હતું અને તિલક કરી શુભકામનાઓ આપી હતી.

ધોરણ 10 અને 12ના કેન્દ્રની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ના થાય એ માટે પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે. શાળા ઓમાં પરીક્ષામાં CC ટીવી પર ચાંપતી નજર રાખવા આવી રહી છે. કોરોના રોગચળા પછીની આ બોર્ડની પરીક્ષા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)