2008 સીરિયલ બ્લાસ્ટનો આરોપી મન્સૂરી સિવિલથી ડરી ગયો, તેને ભય છે કે….

અમદાવાદઃ શહેરમાં 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટનો આરોપી મન્સૂરી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન અનસેફ હોવાનું અનુભવી રહ્યો છે. તેને ડર લાગી રહ્યો છે, જેથી તેણે સીરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ કોર્ટ સમક્ષ સુરક્ષા અને ટ્રિટમેન્ટ દરમિયાન 27×7 સીસીટીવી સર્વેલન્સથી નજર રખાય તેવી માગણી કરી છે. બ્લાસ્ટના 11 વર્ષ બાદ પણ તે ડોક્ટર્સથી ડરી રહ્યો છે. મન્સૂરીના વકીલ દિલશાદ પઠાણના કહેવા મુજબ, મન્સૂરીને ડર છે કે તેની ખોટી રીતે સારવાર કરાશે અને તેની સુરક્ષા માટે પણ આ જરૂરી છે.

જેથી હવે આ  કિસ્સામાં સ્થાનિક કોર્ટે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલને મોહમ્મદ ઈસ્માઈલ મન્સૂરીની ટ્રીટમેન્ટનું વિડીયો રેકોર્ડિંગ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેની ટ્રિટમેન્ટ અને હોસ્પિટલાઈઝેશન દરમિયાન 24×7 સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવા આદેશ આપ્યો છે.

મન્સૂરી અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના 78 આરોપીઓમાંથી છે. આ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયાં હતાં. મન્સૂરી કોઈ અજાણ્યા રોગથી પીડાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની SVP હોસ્પિટલમાં તપાસ બાદ તેને બાયોપ્સી અને એડવાન્સ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલનું નામ સાંભળતા જ મન્સૂરી ડરી ગયો છે કારણ કે 26 જુલાઈ 2008માં થયેલા 19 બ્લાસ્ટમાં આ પણ એક સાઈટ હતી. જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સહિત 37 લોકોના મોત થયાં હતાં.

મન્સૂરીના વકીલ દિલશાદ પઠાણે જણાવ્યું કે, આ પહેલા અન્ય આરોપીઓ પણ મેડિકલ સ્ટાફ દ્વારા ખોટી રીતે સારવાર કરાયાની ફરિયાદ કરી ચૂક્યા છે. મંસૂરી સાથે પણ આવું થઈ શકે. કેસને સાંભળ્યા બાદ પાછલા અઠવાડિયે સ્પેશિયલ જજ એ.આર પટેલે સાબરમતી સેન્ટ્રલ જેલ સુપ્રિડેન્ટેન્ડ અને સિલિવ હોસ્પિટલના RMOને આદેશ આપ્યો હતો કે તેઓ મન્સૂરીને પૂરતી સિક્યોરિટી અને વિડીયો સુવિધા પૂરી પાડે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે મંસૂરીને હોસ્પિટલ લઈ જતાં સમયે પણ સિક્યોરિટી વધારવામાં આવે.