અમદાવાદઃ અમદાવાદમાં બે દિવસમાં પડેલાં વરસાદને લઇને ઠેરઠેર ભૂવા પડવાના મામલા બહાર આવ્યાં છે. ત્યારે ગંભીર કહી શકાય તેવી ઘટના ગોમતીપુરમાં બની હતી. અહીં લગભગ છ દાયકા જૂના સિલ્વર ફ્લેટની નીચેની જમીન બેસી પડી હતી.
જે જગ્યાએ જમીન બેસી પડી છે તેની નજીકમાંથી મેટ્રો ટનલ પસાર થવાની છે ત્યારે જમીનને લઇને અનેક પ્રશ્ન ઊભા થયાં છે. ગ્રાઉન્ડ ફલોર પરની જમીનમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે.
વરસ બે વરસમાં જ્યાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા મેટ્રોના અધિકારીઓ દોડી ગયાં હતાં. મોડીરાત્રે જમીન આ રીતે બેસી પડતાં લગભગ વીસ મકાનના રહીશો રાત્રે બહાર રસ્તા પર આવી ગયાં હતાં. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસના 20 જેટલા મકાનો ખાલી કરાવી દીધામ છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમાં આ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ ચાલુ છે. જ્યાં જમીન ધસી પડી ગાબડું પડ્યું છે તે ટનલની ઉપરનો ભાગ છે અને સિલ્વર ફ્લેટની ગલીનાા મ્યૂનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ પ્રભાવિત થયાં છે.
સમગ્ર મામલે અમદાવાદ કોર્પોરેશનના અને મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં છે અને કારણોની તપાસમાં લાગી ગયાં છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)