અમદાવાદઃ અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી…

અમદાવાદઃ  શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આજે એક ત્રણ માળની ઈમારત ધસી પડવાની ઘટના બની હતી. અમદાવાદ પૂર્વમાં અમરાઈવાડી વિસ્તારમાં બંગલાવાળી ચાલીમાં ત્રણ માળનું મકાન ધરાશયી થતાં અનેક લોકો દટાયાં હોવાની વાત સામે આવી છે.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળ પર ધસી આવી હતી. સાથે જ સ્થળ પર મોટા પ્રમાણમાં લોકો પણ એકઠાં થઈ ગયાં હતાં.

જેને લઇને બચાવકાર્ય ઝડપથી હાથ ધરી શકાય તે માટે અમરાઈવાડી પોલિસનો મોટો કાફલો બંગલાવાળી ચાલી ખાતે ભીડને કાબૂમાં કરવા માટે બોલાવી લેવાયો હતો.બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. અને આ ઘટનામાં ઘાયલ થયેલાં લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ બાબતે અમદાવાદ કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું.